નવરાત્રીનાં નવ દિવસ માતાની પૂજા ભક્તિ કર્યા બાદ દસમે દિવસે હતા તેવા ને તેવા .
સમાજમાં મર્દ થઈને ફરતા માનસિક નામર્દોને આજનો આ લેખ સમર્પિત.
દેવીની ઉપાસના ભક્તિભાવથી કરતો પુરુષ ઘરની લક્ષ્મીને કેમ તરછોડે છે ?
અઘરો સવાલ નથી પરંતુ માનસિકતા હલકી છે એટલે કદાચ ! જવાબ આપવામાં ફાંફા પડી જાય છે.
જમવા બેઠા હોય 'ને ક્યારેક પીરસેલા અનાજમાં એક વાળ દેખાય ત્યાં તો જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એ રીતે પોતાની પત્ની, દીકરી કે વહુવારું પર ત્રાટકી પડે છે. યાદ રાખજો પોતાની કમજોરી છુપાવવા જ લોકો બીજા પર ગુસ્સો કરતા હોય છે. કોઈ એ સમજવા તૈયાર નથી કે ગરમ ચૂલા પાસે બેસીને રસોઈ કરતી દીકરી કે વહુ પરસેવે રેબઝેબ હોય છે. ઉનાળામાં 45° તાપમાન હોય છતાં બીજા 45° તાપમાન હોય એવા ચૂલા પાસે બેસીને સમયસર આપણને રસોઈ જમાડે તે લક્ષ્મી ખરેખર વંદનને પાત્ર છે. તેને ધિક્કારો નહીં. જમવામાં ક્યારેક વાળ આવી પણ જાય તો ગુસ્સામાં આવીને તાંડવ કરવા કરતાં તેની ભાવનાને સંતોષવા વાળ દૂર કરી ચૂપચાપ જમી લેવું.
બીજાની ભાવનાને ઠેસ પહોંચાડી તેના પર બરાડા પાડવામાં મર્દાનગી નથી એ તો નામર્દોની નિશાની છે. ઘણીવાર ઘણી જગ્યાએ આ બાબતનું અવલોકન કર્યું છે તેથી આજે લખવું પડ્યું. સમજદાર કો ઈશારા હી કાફી હૈ. ( બધા એ માથે ના ઓઢવું. ) અગાઉ લખ્યું જ છે કે સમાજમાં મર્દ થઈને ફરતા માનસિક નામર્દોને આજનો આ લેખ સમર્પિત છે.
સ્ત્રી કોઈ પણ સ્વરૂપે તમારાં ઘરે હોય, દીકરી સ્વરૂપે હોય, વહુ સ્વરૂપે હોય, કે પુત્રવધુ સ્વરૂપે હોય કે પછી મા સ્વરૂપે હોય તેનું સાચું સન્માન એ જ સાચી આરાધના 'ને એ જ સાચી ભક્તિ છે. ઘરમાં રહેલી લક્ષ્મીને ખુશ રાખો.
આલેખન : જીગર કવૈયા - કમલાપુર
ALVS ઈન્ડિયા ન્યુઝ
(લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર)
કોન્ટેક : 9512171071
ઈ-મેલ : alvsindia@gmail.com






No comments:
Post a Comment